Wednesday 9 November 2011

શ્રી નરસિંહજી નો વરઘોડો ~ વડોદરા

દેવ દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ...
તુલસીજીના વિવાહ
વડોદરામાં પ્રતિ વર્ષ દેવદિવાળી પર્વે યોજાતો પરંપરાગત એવો ભગવાન નરસિંહજીનો ઐતિહાસિક વરઘોડો મોડીરાતે તુલસીવાડી ખાતે પહોંચી ભગવાન અને તુલસીજીના વિવાહ યોજાશે.
ભગવાનના વરઘોડામાં ભક્તો જાનૈયા બની મહાલવાનો
આનંદ લૂંટવા થનગની રહ્યા છે.
આખી રાત નરસિંહજીની પોળમાં ભજન મંડળીઓની રમઝટ જામે છે. 
સાથેસાથે ગ્રામ્ય મેળાનું આયોજન થતાં બાળકો અને યુવાનોએ તેનો લ્હાવો લે છે.
ભગવાનના વરઘોડાના સ્વાગત માટે નરસિંહજીની પોળ,
એમ.જી.રોડ, માંડવી રોડ સહિત વરઘોડાના સમગ્ર માર્ગ ઉપર રોશની કરવામાં આવે છે.
શહેરના એમ.જી. રોડ પર નરસિંહજીની પોળમાં નરસિંહ ભગવાનનું સૈકાઓ પુરાણુ ઐતિહાસિક મંદિર આવેલું છે. આ મંદિરમાંથી દર વર્ષે પરંપરાગત રીતે નરસિંહ ભગવાનનો વરઘોડો નીકળે છે.
જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો જોડાતા હોય છે.
આ પર્વને હેમખેમ પાર પાડવા માટે પોલીસ દ્વારા
ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.
નરસિંહજીની પોળ સ્થિત નરહરિ મંદિરમાંથી ભગવાન નરસિંહજીનો
પરંપરાગત વરઘોડો દેવદેવાળી પર્વે નીકળે છે.
કાર્તિક માસની પૂર્ણિમાને દેવોની દિવાળી એટલે કે ‘દેવ દિવાળી’ તરીકે ઓળખવામાં આવે છે. પુરાણકથા મુજબ રાજા બલિને વામન અવતારમાં દર્શન
આપ્યા બાદ ભગવાન આ દિવસે વૈકુંઠધામમાં પાછા ફરે છે.

ભક્તોના સૈલાબ વચ્ચે આન-બાન-શાનથી
તુલસીને વરવા નીકળ્યા ભગવાન..




સમગ્ર શહેર આજે ભગવાન નરસિંહજીના વરઘોડામાં સાજન-માજન બનવા થનગનતું હતું. સવારથી જ મંદિર પર ભક્તોની ભારે ભીડ હતી. ઢળતી બપોરે ભક્તોના જનસૈલાબ વચ્ચે, બેન્ડની સુરાવલી સાથે દુદુમ્ભી ગાજ્યા અને ભગવાનની સોના-ચાંદી જડિત પાલખી મંદિરની બહાર આવતા જ ચારેબાજુ ઉપસ્થિત ભક્તોની આંખો ભગવાનના દર્શન માટે આતુર હતી. પરંપરા પ્રમાણે તુલસી સાથે વિવાહ માટે નીકળેલા ભગવાનના દર્શન કરી સૌ કૃતાર્થ થયા. શહેરના તમામ નામી નાગરિકોની વિશેષ હાજરીમાં ભગવાનની પાલખી નાના શાલીભદ્ર સાથે તસુ તસુ આગળ વધતી ગઈ.
પાલખીની આગળ નાના નાના બાળકો વેશભૂષા સજી
નાની નાની બગીઓમાં સવાર હતા.
પાલખીની આગળ હતા હનુમાનજી..અંગ કસરત બતાવતા હનુમાનજી માટે
રસ્તો ખુલ્લો કરતા અસંખ્ય સેવકો હતા.
પૂરી આન, બાન અને શાનથી નીકળેલા ભગવાનના વરઘોડાને નિહાળવો અને લગ્નને માણવાનો મોકો ચૂકવા જેવો નથી. ભગવાન નો વરઘોડો માંડવી થઇ વિઠ્ઠલનાથજીના મંદિરે પહોચે છે જ્યા આરામ બાદ ભગવાન ની  સવારી તુલસી વાડી જાય છે અને ભગવાન અને તુલસીજીના વિવાહ યોજાય છે...

શ્રી નરસિંહજી નો વરઘોડો ~ વડોદરા



No comments:

Post a Comment