Wednesday, 1 August 2012

રક્ષા બંધન : અતૂટ વિશ્વાસનુ બંધન

એક નાજુક તાંતણે બંધાયેલો મજબુત સંબંધ


રક્ષા બંધન મૂહૂર્ત : આખો દિવસ સુખ અને સમૃદ્ધિભર્યો રહેશે.

તમે પણ આ તહેવારને પ્રેમપૂર્વક ઉજવો અને આ દિવસે તમારી બહેનને તેની ખુશીઓની ભેટ આપો. યાદ રાખજો કે ભાઈ-બહેનનો આ સંબંધ જેટલો મજબૂત અને વ્હાલો છે તેટલો જ નબળો પણ છે તેથી આ સંબંધને સદા મજબૂતીથી બાંધી રાખજો. રક્ષાબંધન એક એવો તહેવાર છે, જે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની સાંકળને રાખડીના નાજુક રેશમી દોરા વડે બાંધી રાખે છે

દરેક વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના રક્ષા બંધનના પર્વ મોટા ઉત્સાહથી મનાવવામાં આવે છે. આ દિવસ બહેનો પોતાના ભાઈઓના હાથ પર રક્ષા સૂત્ર બાંધે છે અને તેને ઉજજવળ ભવિષ્યની કામના કરે છે. તે ભાઈ પણ જીવનભર પોતાની બહેનોને રક્ષાનું વચન આપે છે. આ પર્વ ભાઈ-બહેનના પ્રેમનું અનુપમ ઉદાહરણ છે. 

આવ્યો   શ્રાવણ  માસ , બહેનીને  રક્ષા  બંધનની  આશ,
રક્ષા  બંધન  અવસર  ટાણે, વીરો  વહેલો  આવ્યો  જાણે.
વીરા  માટે  થાળી   સજાવું, હીરા મોતીની  રાખડી  લાવું,
કુમકુમ તિલક ભાલે લગાવું, રૂડા  અક્ષતથી એને  સજાવું .
મીઠાઇ થકી મુખ મીઠું કરાવું,એના કરકમલે રક્ષા  સોહાવું,
લાંબી આવરદાનો વર અનેરો, આશીર્વાદ કરશે પ્રભુ પૂરો.
લઇ ઓવારણાં જાઉં વારી , સુખ સંપતિની દુઆ ન્યારી,
વીરો  સુખ સમૃદ્ધિને  વરે,  કુબેર ને  લક્ષ્મીજી  ઘર  ભરે.
ભાતભાતના પકવાન પીરસાવું, વીરાને  હેતે જ હરખાવું,
રક્ષાબંધનનો અવસર છે અનેરો, ભાઈ  હરખે  છે  ભલેરો.
બહેનીને  વીરો  હરખે  ભર્યા,  માડીજાયાના અંતર ઠર્યા,
વીરાએ દીધી  ભેટ  અનમોલ, ના રક્ષાબંધનનો કોઈ  મોલ.


બ્રાહ્નણો માટે જનોઈ બદલવાનો દિવસ, બહેનો માટે પોતાના ભાઈને રાખડી બાંધવાનો દિવસ અને દરિયાઈ માર્ગે વેપારધંધો કરનારા માટે સમુદ્રપૂજનનો દિવસ છે. આમ ત્રણ ઉત્સવોનો સુભગ સમનવય છે.


વૈદિક કાળમાં આજથી નવું વર્ષ થતું. સપ્તર્ષિઓનું અને વૈદિક અભ્યાસનું પર્વ શરૂ થતું હોવાને કારણે આજના શુભ દિવસે બ્રાહ્મણો નદી, તળાવો કે સમુદ્ર કે સરોવરના કિનારે જનોઈ કે યજ્ઞોપવિત બદલે છે.


દરિયાકાંઠે રહેતા ગુજરાતી ખારવા, ખલાસી, લુહાણા પ્રજા આજના દિવસે નાળિયેરી પૂનમનો દિવસ મનાવી દરિયાલાલને ચૂંદડી અને નાળિયેર અર્પણ કરી પોતાના વહાણ પર નાળિયેર વધેરી આજનો પર્વ ઉજવે છે.


રક્ષા  બંધન  અવસર  ટાણે, વીરો  વહેલો  આવ્યો  જાણે.
વીરા  માટે  થાળી   સજાવું, હીરા મોતીની  રાખડી  લાવું,
કુમકુમ તિલક ભાલે લગાવું, રૂડા  અક્ષતથી એને  સજાવું .
મીઠાઇ થકી મુખ મીઠું કરાવું,એના કરકમલે રક્ષા  સોહાવું,
લાંબી આવરદાનો વર અનેરો, આશીર્વાદ કરશે પ્રભુ પૂરો.
લઇ ઓવારણાં જાઉં વારી , સુખ સંપતિની દુઆ ન્યારી,
વીરો  સુખ સમૃદ્ધિને  વરે,  કુબેર ને  લક્ષ્મીજી  ઘર  ભરે.
ભાતભાતના પકવાન પીરસાવું, વીરાને  હેતે જ હરખાવું,
રક્ષાબંધનનો અવસર છે અનેરો, ભાઈ  હરખે  છે  ભલેરો.
બહેનીને  વીરો  હરખે  ભર્યા,  માડીજાયાના અંતર ઠર્યા,
વીરાએ દીધી  ભેટ  અનમોલ, ના રક્ષાબંધનનો કોઈ  મોલ.


આ વખતે રક્ષાબંધનનો આખો દિવસ શુભ રહેશે અને બહેનોએ કોઇ શુભ મુહૂર્તની રાહ નહીં જોવી પડે. બહેનો આ રક્ષાબંધને દિવસમાં ગમે તે સમયે ભાઇને રાખડી બાંધી શકશે. પાંચ વર્ષ બાદ પહેલીવાર એવું બની રહ્યું છે કે આ વખતે રક્ષાબંધને ભદ્રા યોગ નહીં હોય અને આખો દિવસ શ્રવણ નક્ષત્ર રહેશે.

આ શ્રવણ નક્ષત્રને લીધે કોઇ શુભ મુહૂર્તની જરૂર નથી રહેતી અને આખો દિવસ સુખ-સમૃદ્ધિભર્યો રહેશે. ઘણીવાર રક્ષાબંધને ભદ્રાયોગ હોવાથી દિવસમાં અમુક કલાક જ શુભ મુહૂર્ત રહેતાં હોય છે. જેને કારણે બહેનોએ રાખડી બાંધવા માટે શુભ મુહૂર્તની રાહ જોઇને બેસવું પડતું હોય છે.

કંઇક આવું છે મુહૂર્ત...

રક્ષાબંધન બીજી ઓગસ્ટ, ગુરુવારે છે. આના આગળના દિવસ એટલે કે બુધવારે રાત્રે ૧૦.૪૯ કલાકથી શ્રવણ નક્ષત્ર શરૂ થઇ જશે. જે ગુરુવારે રાત્રે ૧૦.૧૬ કલાક સુધી રહેશે. એટલે કે, રક્ષાબંધનનો આખો દિવસ શ્રવણ નક્ષત્ર જ રહેશે. જેમાં કોઇપણ સમયે રાખડી બાંધી શકાશે 


આપણો ભારત દેશ એટલે તહેવારોનો દેશ. અહીના તહેવારો એવા છે કે જે માનવીના જીવનમાં નવી તાજગી ભરી દે છે. માર્ચ થી જુલાઈ સુધી ગરમીથી ત્રાહીમામ થતો માણસ ઓગસ્ટમાં રીમઝીમ વરસાદ સાથે આવતા તહેવારોથી પ્રફુલ્લિત થઈ ઉઠે છે. આ તહેવારોમાંથી રક્ષા બંધન એક એવો તહેવાર છે જે એક પ્રેમનુ બંધન છે. આ તહેવાર એવો છે જે રક્ષા માટે પ્રેમથી બંધાતુ બંધન છે.

જેમા એક એવું બંધન કે જેના આગમાનના અહેસાસ માત્રથી વાતાવરણમાં અનેરી તાજગી પ્રસરી જાય છે. રક્ષા કવચ એવું બંધન કે જેમાં ભાઈની કલાઈ પર રક્ષાકવચ બાંધીને નિસ્વાર્થ પણે પોતાનો પ્રેમ રજૂ કરે છે.આપણે બધા સામાજિક પ્રાણી છે, જે એક બીજા સાથે સંકળાયેલા રહેવ માટે સ્વેચ્છાએ સંબંધોના બંધનમાં બંધાઈયે છીએ. આ બંધન આપણી સ્વતંત્રતા છીનનારુ બંધન નથી પરંતુ પ્રેમનુ બંધન હોય છે. જેને આપણે જીંદાદીલીથી જીવીએ અને સ્વીકારીએ છીએ.

આપણા સમાજમાં દરેક સંબંધનો કોઈને કોઈ નામ આપવામાં આવે છે. ઠીક એ જ રીતે માણસ અને સ્ત્રીના પણ ઘણા સંબંધો છે, પણ એ સંબંધોમાં સૌથી પ્રેમાળ સંબંધ છે ભાઈ-બહેનનો. આ સંબંધ દરેક સંબંધ કરતા મીઠો અને વ્હાલો હોય છે કારણ કે આ સંબંધમાં દરેક ડોરથી મજબૂત ડોર હોય છે. આ પ્રેમ રક્ષાબંધનના દિવસ ભાઈને પોતાની લાડકી બહેન પાસે ખેંચી લાવે છે.

રક્ષાબંધન ફક્ત એક તહેવાર નથી પરંતુ આપણી પરંપર્રાઓનુ પ્રતીક છે જે આજે પણ આપણને આપણ પરિવારના સંસ્કારો સાથે જોડી રાખે છે. રક્ષાબંધન બહેનની રક્ષાની પ્રતિબધ્ધતાનો દિવસ છે, જેમા ભાઈ દરેક દુ:ખ તકલીફમાં પોતાની બહેનનો સાથ આપવાનુ વચન આપે છે. આ જ એ વચન છે, જે આજના સમયમાં પણ ભાઈ-બહેનને વિશ્વાસના બંધનમાં બાંધી રાખે છે.


આ જ એ તહેવાર છે, જેમા બહેન પોતાના ઘર એટલે કે પોતાના પિયરમાં આવે છે. ત્યારે તો દરેક રક્ષાબંધનની જેટલી આતુરતાથી પોતાના ભાઈના આવવાની રાહ જોતી હોય છે એટલીજ આતુરતા ભાઈને પણ તેના હાલચાલ જાણવાની હોય છે. બહેનને સુખી જોઈને ભાઈના ચહેરા પર જે સંતોષ અને ખુશી જોવા મળે છે એ સાચે જ દર્શાવે છે કે ઈશ્વરે બનાવેલ આ સંબંધ કેટલો અદ્દભૂત છે. ભાઈ-બહેન જ્યારે મળે છે ત્યારે બધી જૂની યાદો તાજી કરીને, મજાક મસ્તી સાથે જે વાતાવરણ ઉભુ કરે છે એ સાચે જ યાદગાર બની જાય છે.

તમે પણ આ તહેવારને પ્રેમપૂર્વક ઉજવો અને આ દિવસે તમારી બહેનને તેની ખુશીઓની ભેટ આપો. યાદ રાખજો કે ભાઈ-બહેનનો આ સંબંધ જેટલો મજબૂત અને વ્હાલો છે તેટલો જ નબળો પણ છે તેથી આ સંબંધને સદા મજબૂતીથી બાંધી રાખજો.  


પહેલાં લોકો રાખડીને રેશમનો તાર અથવા રેશમનો દોરો કહેતાં હતાં. પરંતુ હવે તો નથી ક્યાંય તે રેશમનો તાર રહ્યો કે નથી રેશમની રાખડી. આજના બદલાતા જતા યુગની અંદર રાખડી પણ બદલાઈ ગઈ અને તે પણ હવે ડિઝીટલ થઈ ગઈ. આજના ઈંટરનેટના જમાનામાં જ્યારે બધી જ વસ્તુ ડિઝીટલ થઈ ગઈ છે ત્યારે હવે રાખડી પણ કેમ પાછળ રહે હવે તો તે પણ ડીઝીટલ થઈ ગઈ છે.

પહેલાં તો પોતાના પરિવારથી દૂર રહેતી બહેન પોતાના ભાઈને પોસ્ટ દ્વારા રાખડી મોકલતી હતી પરંતુ હવે આજના આ ડિઝીટલ યુગની અંદર પોસ્ટ તો ક્યાંય ખોવાઈ જ ગઈ છે અને હવેની મોર્ડન બહેનો પોતાના ભાઈઓને ઈ-રાખડી કે ઈ-કાર્ડ જ મોકલીને સંતોષ માની લે છે. આ ઈ-રાખડી તેમને માત્ર મિનિટોમાં જ મળી જાય છે. તેઓ ફક્ત ઈ-કાર્ડ કે ઈ-રાખડી મોકલીને પોતાનુંવ કર્તવ્ય પુરૂ કરી દે છે. આસનની જગ્યાએ કોમ્પુટરની સામે ખુરશી પર બેસીને ભાઈ પોતાની બહેન દ્વારા મોકલેલી રાખડી જોઈને ખુશ થઈ જાય છે અને પાંચ મિનિટમાં તો રક્ષાબંધન પણ ઉજવાઈ જાય છે.

રક્ષાબંધન પર ઈ-કાર્ડ અને ઈ-રાખડી મોકલવાની શરૂઆત 1995માં થઈ હતી. પહેલાં તો આનો ઉપયોગ માત્ર વિદેશમાં રહેતી બહેન કે વિદેશમાં જઈને વસેલ ભાઈ એકબીજા માટે કરતાં હતાં પરંતુ આજે તો ભારતની અંદર પણ બહેન ભાઈને રાખડી મોકલવા માટે ઈંટરનેટનો ઉપયોગ કરી રહી છે. જેમ જેમ ભારતની અંદર ઈંટરનેટનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ લોકો તહેવારોને પણ તેની સાથે જોડી રહ્યાં છે.

આમ તો જોવા જઈએ તો આનો ફાયદો પણ છે. આનો ફાયદો તે છે કે ભારતથી મીલો દૂર રહેતાં બીજા દેશની અંદર જ પોતાનો સંસાર બનાવીને રહે છે તેઓ પણ ઈંટરનેટ દ્વારા હવે પોતાના દેશના તહેવારોને માણી શકે છે. તેઓ પણ હવે પોતાનો દેશ, પોતાનું શહેર, પોતાની ગલીની અંદર ચાલી રહેલી હલ-ચલને માત્ર ઈંટરનેટ દ્વારા જોઈ શકે છે. તેનાથી ઘરથી દૂર હોવાનું દુ:ખ થોડુક ઓછું થાય છે. જે બહેનોને વિદેશની અંદર રાખડીની સજાવેલી દુકાનો નથી દેખાતી તેમને ઈંટરનેટ પર ઈ-રાખડીઓનું આખુ બજાર જોવા મળે છે. ફક્ત રાખડી જ નહિ પરંતુ કંકુ અને ચોખાથી સજાવેલી થાળી પણ મળે છે.

હવે તો ઈંટરનેટ પર ઈ-રાખડીને જોઈને વિદેશીઓ પણ આની અંદર રસ દાખવવા લાગ્યા છે. ભારતની અંદર ઉજવાતો આ તહેવાર હવે આ સીમા બંધન તોડીને આખા વિશ્વની અંદર ફેલાવવા લાગ્યો છે અને દરેક લોકોનાં દિલની અંદર જગ્યા બનાવી લીધી છે.


આમ્હી બરૌડેકર! તરફ થી સાચા હૃદયથી સર્વે મિત્રો, ભાઈઓ તથા બહેનો ને રક્ષા બંધનની ખુબ સારી શુભેચ્છાઓ.





Wednesday, 11 July 2012

Happiness in The Home

ભાડાના ઘરમાં પણ ચોક્કસ વધશે તમારું ધન, અપનાવો આ ટિપ્સ
 વાસ્તુ પ્રમાણે જો કોઈ ઘરનું વાસ્તુ સારું ન હોય તો ત્યાં રહેનાર લોકોને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જો ઘર પોતાનું હોય તો ઘરના વાસ્તુદોષ દૂર કરાવવામાં કોઈ પરેશાની નથી આવતી પરંતુ ઘર ભાડાનું હોય તો ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. મોંઘવારીના દોરમાં આજે ઘણા લોકોને ભાડાના મકાનમાં જીવન નિર્વાહ કરવો પડે છે. મકાન માલિકની પરવાનજી વગર ઘરમાં કોઈપણ પ્રકારની તોડફોડ નથી કરી શકાતી
ધ્યાન રાખવું કે મકાનની સામે ઉત્તર-પૂર્વ દિશાનનો ફર્શ દક્ષિણ-પશ્ચિમમાં બનેલ ફર્શથી ઊંચો હોય તો દક્ષિણ-પશ્ચિનો ફર્શન ઊંચો કરો. એવું નહીં કરી શકો તો પશ્ચિમ દિશાના ખૂણામાં એક પ્લેટ ફોર્મ ચોક્કસ બનાવડાવો.
ભોજનને જમતી વખતે ધ્યાન રાખવું કે તમારું મુખ દક્ષિણ-પૂર્વ દિશા તરફ હોય. એમ કરવાથી ભોજનથી પૂર્ણ શક્તિ પ્રાપ્ત થાય છે અને વાસ્તુદોષનો નાશ થાય છે
ઘરનું ભારે સામાન કે બીનજરૂરી વસ્તુઓને ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાવમાં રાખવા જોઈએ. અન્ય કોઈ સ્થાને ભારે સામાન રાખવાથી વાસ્તુ પ્રમાણે અશુભ માનવામાં આવે છે.
ધ્યાન રાખો કે ઘરનો ઉત્તર-પૂર્વ ભાગ વધુ ખાલી રાખવો જોઈએ. અહીં સામાન રાખવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. 
બેડરૂમમાં પલંગનો માથા તરફ રાખવાનો ભાગ દક્ષિણ દિશામાં રાખવો જોઈએ. ધ્યાન રાખવું કે સૂતી વખતે તમારું માથું દક્ષિણ દિશામાં અને પગ ઉત્તર દિશામાં હોય તો સારું રહે છે. જો એમ ન થાય તો પશ્ચિમ દિશામાં માથું રાખીને સૂઈ શકો છો.
વાસ્તુ પ્રમાણે સૌથી મહત્વપૂર્ણ છે ઘરનું પૂજા સ્થળ, તે ઉત્તર-પૂર્વમાં હોવું જોઈએ. જો કોઈ અન્ય દિશામાં મંદિર હોય તો પાણી ગ્રહણ કરતી વખતે મુખ ઈશાન ખૂણામાં અર્થાત્ ઉત્તર-પૂર્વ દિશા તરફ રાખીને પીવું જોઈએ.
 
ઘરમાં બાથરૂમ કે રસોડા માટે પાણીનો સપ્લાય ઉત્તર-પૂર્વ દિશાથી લેવો જોઈએ.

શ્રીજગન્નાથજીની રથયાત્રા મહોત્સવ






શ્રીજગન્નાથજીની રથયાત્રા મહોત્સવ

શ્રીજગન્નાથજીની નો ભવ્ય રથ ખેચાવા વડોદરા ની જનાતા પધારી
તા.૨૧ જૂનને ગુરુવારે ૨.૩૦ કલાકે ટેશન વિસ્તારમાંથી મેયર ડૉ.જ્યોતિબહેન સોનેરી સાવરણાથી રથયાત્રાનો માર્ગ સ્વચ્છ કરી ભગવાનની ૩૧ મી રથયાત્રાને પ્રસ્થાન કરાવયો.
અષાઢી બીજના આધ્યાત્મિક પર્વે ઇસ્કોન મંદિર, વડોદરાના ઉપક્રમે તા.૨૧ જૂનને ગુરુવારે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા મહોત્સવનું આયોજન કરાયું છે. ગુરુવારે બપોરે ૨.૩૦ કલાકે મેયર ડૉ.જ્યોતિબહેન પંડયા સ્ટેશન વિસ્તારમાંથી રથયાત્રાનો માર્ગ સ્વચ્છ કરી ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની ૩૧ મી રથયાત્રાને પ્રસ્થાન કરાવી



















Friday, 22 June 2012

વડોદરા ના રાજા શ્રી સમરજીત સિંહ ગાયકવાડ

વડોદરા ના રાજા શ્રી સમરજીત સિંહ ગાયકવાડ નો રાજ્ય અભિષેક
યુવરાજ સમરજિતસિંહ અને રાધિકારાજેનું દરબાર હોલ ખાતે આગમન
રાજોપાધ્યાય ધ્રુવદત્ત વ્યાસ દ્વારા રાજ્યાભિષેક વિધિ
સમરજિતસિંહના બહેન અલૌકિકારાજેએ કુમકુમ તિલક કરી અભિષેક



રાજમહેલમાં આયોજિત રાજ્યાભિષેકના કાર્યક્રમમાં વિશેષ પૂજા સાથે ગાયકવાડી પરંપરાના હોદ્દાઓનું પૂજન પણ કરવામાં આવે છે. જેમાં અપ્દગીરી, છડી, ઢોલ, નિશાન, ચામર, છત્રી, મોરચલ અને તલવારનનું પૂજન કરાયું હતું.

શાનદાર આતશબાજી વચ્ચે સમરજિતસિં ગાયકવાડનો રાજ્યાભિષેક
વડોદરાના રાજવી પરિવારનાં મહારાજા રણજિતસિંહ ગાયકવાડના નિધન બાદ આજે તેઓના ઉત્તરાધિકારી તરીકે યુવરાજ સમરજીતસિંહ ગાયકવાડનો સંપૂર્ણ વેદોક્ત અને ભારતીય પરંપરા મુજબ આમંત્રિત રાજવીઓની ઉપસ્થિતિમાં ૧૭મા રાજા તરીકે રાજ્યાભિષેક થયો ત્યારે ઢોલ, નગારા અને શહેનાઈ વાદનથી લક્ષ્મી વિલાસ પેલેસનો ગાદીહોલ ગુંજી ઉઠયો હતો. ભારતની મુખ્ય નદીઓના જળ, માટી અને પાંચ રત્નો સહિતના દ્રવ્યો સાથે રાજપૂરોહિતે રાજ્યાભિષેક કરાવ્યો ત્યારે રાજવી પરિવારના સભ્યો અને ઉપસ્થિત રાજવીઓ ભાવવિભોર બની ગયા હતા. આ વખતે સૌના હૃદયમાં સ્થાન મેળવનાર દિવંગત મહારાજા રણજિતસિંહની ગેરહાજરી હૃદયવલોવી મૂકતી હતી. પૂર્વ રાજાઓના પરંપરાગત ભદ્રાસન ઉપર ચારેય વર્ણના લોકોએ અભિષેક કર્યા બાદ નવા રાજા સમરજીતસિંહ પહેલી અને છેલ્લીવાર રાજગાદી ઉપર બિરાજ્યા હતા.



યુવરાજ સમરજીત જરીવાળા રજવાડી પોશાકમાં તેમના પત્ની રાધિકારાજ સાથે પૂર્વાભિમુખ બિરાજમાન હતા. રાજપુરોહિત ધુ્રવદત્ત વ્યાસે ગણપતિની પૂજા કરાવી ત્યારે ચાર બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કર્યા હતા. ઋગ્વેદની વિધિ મુજબ પૂજા થઇ હતી અને રાજ્યના 'નિશાન' ચાંદીના નગારા, સોનાની કરાર અને સોનાના છત્રની પૂજા કરવામાં આવી હતી.

લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલ નજીકના અત્યંત પવિત્ર મનાતા ગાદી હોલમાં લાલજાજમ પથરાઇ હતી. જ્યાં આજે સવારે ૯ વાગ્યાથી વિધિથી શરૃઆત થઇ હતી. પ્રતાપસિંહરાવ ગાયકવાડ બાદ ગાદી હોલમાં આજે ચોથી વખત રાજયાભિષેક થયો હતો.

ગુજરાતના અડધા ઉપરાંતના વિસ્તાર ઉપર એક સમયે રાજ કરતા વડોદરાના રાજવી સર સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી દરમિયાન રાજવી પરિવારના રહેઠાણ વાળા લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે આજે રાજયાભિષેકનો ચોથી વખતનો અદ્ભુત અને યાદગાર પ્રસંગ યોજાયો હતો.
લક્ષ્મીવિલાસ પેલેસમાં ગાદીહોલ ખાતે વિવિધ રજવાડાના રાજવી પરિવારોની ઉપસ્થિતિમાં શહેનાઇ અને નગારાના પવિત્ર નાદ વચ્ચે સવારે ૧૦ કલાકે અલૌકિકારાજેએ કુમકુમ તિલક કરી અભિષેક કર્યો
- રાજ્યાભિષેક બાદ કુળદેવતાં અને પૂર્વજોના દર્શન કર્યા

શુક્રવારે લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે ૧૭મા વડોદરાના મહારાજા તરીકે સમરજિતસિંહ ગાયકવાડનો રાજ્યાભિષેક-રાજ્યારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. લક્ષ્મીવિલાસ પેલેસના ગાદીહોલ ખાતે વિવિધ રજવાડાઓના રાજવી પરિવારોની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં વેદોક્ત મંત્રો, શહેનાઈ અને નગારાના પવિત્ર નાદથી ગાદી હોલ ગૂંજી ઊઠયો હતો.

વડોદરાના મહારાજા તરીકે સમરજિતસિંહ ગાયકવાડના રાજ્યાભિષેક માટે શહેરીજનોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉમળકો હતો. આજે સવારે લક્ષ્મીવિલાસ પેલેસના ગાદી હોલ ખાતે વહેલી સવારથી જ આમંત્રિત મહેમાનોનું આગમન થવા માંડયું હતું. મહારાજા પદે સમરજિતસિંહ ગાયકવાડ આરૂઢ થયા પૂર્વેથી જ ગાદી હોલ શહેનાઈના પવિત્ર સૂરોથી ગૂંજી ઊઠ્યો હતો.

૯.૩૦ કલાકે યુવરાજ સમરજિતસિંહ અને રાધિકારાજેનું દરબાર હોલ ખાતે આગમન થયું હતું. ત્યારબાદ રાજોપાધ્યાય ધ્રુવદત્ત વ્યાસ દ્વારા રાજ્યાભિષેક વિધિ અગાઉની પૂજા કરવામાં આવી હતી. દરમિયાન રાજવી કુટુંબની ગાદીપૂજા અને ભૂમિની પૂજા પણ કરવામાં આવી હતી. વેદોક્તમંત્રો સાથેની ભાવિ મહારાજાના રાજ્યાભિષેકની પૂજા દરમિયાન દેશની ૧૪ નદીઓના પાણી વડે ૧૪ વનસ્પતિઓ અને ૪ સમુદ્રોના પાણી તથા પ રત્નો વડે દેહશુદ્ધિ વિધિ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સમરજિતસિંહના બહેન અલૌકિકારાજેએ કુમકુમ તિલક કરી અભિષેક કરતા રાજવી પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.

રાજ્યાભિષેક પછી સમરજિતસિંહ અને રાધિકારાજેએ શુભાંગિની રાજેએ પહેલા રાજમાતા શુભાંગિની દેવી ગાયકવાડ અને ત્યારબાદ અન્ય વડીલોના આર્શીવાદ લીધાં હતાં. પછી પરિવારજનો દ્વારા ફુલમાળા, પુષ્પગુચ્છ અર્પણ કરીને અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજમહેલ સાથે જોડાયેલા વડોદરા ઉપરાંત જસદણ, વાંકાનેર, લોનાવાલા, સાવંતવાડી, સૌંદૂર રિયાસતના રાજવી પરિવારના સભ્યો સહિ‌ત ૨પ૦ જેટલા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યાભિષેક બાદ સમરજિતસિંહ ગાયકવાડ મહારાણી રાધિકારાજે સાથે દાંડિયાબજાર સિદ્ધિ વિનાયક મંદિર અને ખંડોબા મંદિરે જઈને કુળદેવતાના આર્શીવાદ અને કીર્તિ‌ મંદિર ખાતે જઈને પૂર્વજોના આર્શીવાદ લીધા હતા.

ગાદીગ્રહણ પૂર્વે હોદ્દાઓનું પૂજન કરવામાં આવ્યું

રાજમહેલમાં આયોજિત રાજ્યાભિષેકના કાર્યક્રમમાં વિશેષ પૂજા સાથે ગાયકવાડી પરંપરાના હોદ્દાઓનું પૂજન પણ કરવામાં આવે છે. જેમાં અપ્દગીરી, છડી, ઢોલ, નિશાન, ચામર, છત્રી, મોરચલ અને તલવારનનું પૂજન કરાયું હતું.

પ્રથમ વખત યુવાન મહિ‌લાઓને પ્રવેશ

વડોદરાના રાજવી ગાયકવાડી પરંપરામાં રાજ્યાભિષેકની વિધિ મહિ‌લાઓને નજીકથી જોવાની તક મળતી ન હતી.જોકે રણજિતસિંહજી ગાયકવાડનો રાજયાભિષેક થયો ત્યારે પહેલીવાર બુઝુર્ગ મહિ‌લાઓને ગાદી હોલમાં પુરુષ સભ્યો સાથે બેસવાની તક મળી હતી. હવે જ્યારે આજે સમરજિતસિંહ ગાયકવાડનો રાજ્યાભિષેક વિધિમાં પહેલીવાર રાજવી ગાયકવાડ પરિવારની યુવા મહિ‌લાઓને પણ ઉપસ્થિત રહીને નજીકથી રાજ્યાભિષેક જોવાનો લહાવો મળ્યો હતો.

દેરાસરમાં દર્શન: પિતાનું વચન પાળ્યું

મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકારાજેએ સજોડે રાજ્યાભિષેક બાદ કોઠીપોળ જૈન દેરાસર જઇ દર્શન કરી આર્શીવાદ લીધા હતા. આમ કરીને તેમણે સ્વ.પિતા રણજિતસિંહજી ગાયકવાડનું જૈન દેરાસરને આપેલું વચન પૂર્ણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે દેરાસરની જૈન દેરાસરના ટ્રસ્ટી મંડળ દ્વારા રાજવી દંપતી અને રાજોપાધ્યાય ધ્રુવદત્ત વ્યાસને પાંચ-પાંચ ચાંદીની મુદ્રાઓ પણ શુભેચ્છા પ્રતીક તરીકે આપવામાં આવી હતી.

મુખ્ય દ્વાર પર કેસરી ધજા સ્થાપિત કરાઈ

સ્વ.મહારાજા રણજીતસિંહ ગાયકવાડના નિધન બાદ ઉતારી લેવાયેલી કેસરી ધજા મહારાજા સમરજિતસિંહ ગાયકવાડનો રાજ્યાભિષેક થયા બાદ રાજમહેલના પ્રવેશદ્વાર પર ગાયકવાડી પરંપરા મુજબ પુન: ફરકાવવામાં આવી હતી.

રજવાડી નગારાની ૧પ૦ વર્ષ જૂની પરંપરા

આજે રાજ્યાભિષેક દરમિયાન વિશાળ નગારાના નાદે પણ ઉપસ્થિતોનું ધ્યાન ખેંચ્યું હતું. આ નગારું વગાડનાર શ્રીપાદ ગુરવે જણાવ્યું કે, અમારી ચોથી પેઢી આ નગારું વગાડી રહી છે. વડોદરાના રાજવી સર સયાજીરાવ પ્રથમના રાજ્યાભિષેકના સમયનું આ રજવાડી નગારું ૧પ૦ વર્ષ જૂનું છે.



રાજમહેલમાં વર્ષોથી નગારુ વગાડતા ગુરવ તાપાએ કહ્યુ હતુ કે મને આજે ત્રીજા રાજવીનો રાજ્યાભિષેક નીહાળવાનો અવસર મળ્યો છે.રાજમહેલમાં જે નગારા છે તે ૧૮૮૫ના સમયગાળાના છે.આ પહેલા નગારા રાજમહેલના મુખ્ય દરવાજા પર મુકાતા હતા અને રોેજ સવાર સાંજ નગારા વગાડાતા હતા.નગારાનો અવાજ રાજમહેલના વાતાવરણમાં રોજ ગૂંજતો હતો.હવે ગૂડી પડવા જેવા તહેવારો ટાણે પ્રવેશદ્વાર પર નગારાને વગાડાય છે.  આજે રાજ્યાભિષેકમાં જે નગારા વગાડાયા છે તે અગાઉ અમારા પરદાદા પંજોબા યુધ્ધ સમયે વગાડી ચુક્યા છે.  ગાયકવાડી શાસકો યુધ્ધમાં જતા ત્યારે હાથી પર આ નગારાને લઈ જવાતા હતા. યુધ્ધ વખતે નગારાનો ધ્વનિ સૈનિકોમાં અનેરૃ જોશ પેદા કરતો હતો.આ જ નગારાના અવાજ આજે રાજ્યાભિષેકના ગાદી હોલમાં ગૂંજી ઉઠયો હતો.

યુવરાજમાંથી મહારાજા બનેલા સમરજીત ગાયકવાડે પરંપરામુજબ વડોદરા પ્રજાની સુખાકારી અને કલ્યાણ માટેની પ્રતિજ્ઞા લીધી હતી.

રાજ્યાભિષેક વિધિમાં ક્યારે, શું યોજાયું ?

- સવારે ૯.૩૦ : સમરજિતસિંહ અને રાધિકારાજેની પધરામણી
- સવારે ૯.૪૦ : પૂજા શરૂ થઈ
- સવારે ૧૦.૦૦ : મહારાજા ગાદી પર આરૂઢ થયા.
- સવારે ૧૦.૦પ : પેલેસના પરિસરમાં આતશબાજી અને દારૂખાનું ફોડવામાં આવ્યું
- સવારે ૧૧.૦૦ : સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન
- સવારે ૧૧.૩૦ : ખંડોબા મંદિરે દેવદર્શન કર્યાં
- સવારે ૧૧.૪પ : કીર્તિ‌મંદિરે પૂર્વજોને ફુલહાર ચઢાવ્યાં

આ છે નવા મહારાજા સમરજિતસિંહ
જન્મતારીખ : ૨પ એપ્રિલ, ૧૯૬૭, વડોદરા

અભ્યાસ

- ૧૯૭૩ : ૬ વર્ષની વયે દેહરાદૂનની વેલન્સ શાળામાં પ્રવેશ મેળવ્યો
- ૧૯૭૯ : ૧૨ વર્ષની વયે દેહરાદૂનની દૂન સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો
- ૧૯૮૬: મહારાજા સયાજીરાવ યુનિવર્સિ‌ટીમાં કોમર્સની બેચલર ડિગ્રી માટે પ્રવેશ
- ૧૯૮૯ :બીકોમનો અભ્યાસક્રમ પૂરો
- ૧૯૯૦: એમ.કોમ(માર્કેટિંગ)માં પ્રવેશ મેળવ્યો પણ ૧ વર્ષ બાદ અભ્યાસ છોડી દીધો
- ૧૯૮૮થી૧૯૯૦ : વડોદરાની રણજી ટીમના સભ્ય બન્યા
- ૧૯૯૬ : પેલેસ મેદાનમાં ગોલ્ફ કોર્સની સ્થાપના

હોદ્દેદાર

- બરોડા ક્રિકેટ એસોસિયેશન વાઈસ પ્રેસિડેન્ટ
- ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યાં
- મહારાજા સયાજીરાવ યુનિ.માં સેનેટના સભ્ય બન્યાં
- ઇન્ડિયન ગોલ્ફ કાઉન્સિલ સભ્ય

Tuesday, 12 June 2012

શુભ મૂહુર્તઃ જાણો ઘરમાં ક્યારે કરાવવી વાસ્તુશાંતિ માટે પૂજા?

શુભ મૂહુર્તઃ જાણો ઘરમાં ક્યારે કરાવવી વાસ્તુશાંતિ માટે પૂજા?
 
નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા વાસ્તુશાંતિ અર્થાત યજ્ઞાદિ ધાર્મિક કાર્ય જરૂર કરાવવા જોઈએ. વાસ્તુશાંતિ કરાવવાથી ભવનની નકારાત્મક ઊર્જા સમાપ્ત થઈ જાય છે અને ઘર શુભ પ્રભાવ આપવા લાગે છે. તેનાથી જીવનમાં ખુશીઓ અને સુખ-સમૃદ્ધિ આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મંગળાચરણ સહિત વાધ્ય ધ્વનિ કરાવીને કુળદેવની પૂજા અને અગ્રજોનું સન્માન કરીને બ્રાહ્મણોને પ્રસન્ન કરી ગૃહ પ્રવેશ કરવો જોઈએ.
ગૃહ પ્રવેશ કરતા પહેલા વાસ્તુશાંતિ કરાવવું શુભ હોય છે. તેની માટે શુભ નક્ષત્ર તથા તિથિ આ પ્રકારે છે...

શુભ વારઃ- સોમવાર, બુધવાર, ગુરુવા તથા શુક્રવાર શુભ છે.

શુભ તિથિઃ-
શુક્લપક્ષની બીજી, ત્રીજ, પાંચમ, સપ્તમી, દશમી, અગિયારસ, બારસ, તથા તેરસ

શુત્ર નક્ષત્રઃ- અશ્વિની, પુનઃર્વસુ, પુષ્ય, હસ્ત, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઠ, ઉત્તરાભાદ્રપદ, રોહિણી, રેવતી, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, સ્વાતિ, અનુરાધા તથા મઘા.

અન્ય વિચારઃ- ચંદ્રબળ, લગ્ન, શુદ્ધિ તથા ભદ્રાદિનો વિચાર કરી લેવો જોઈએ.
 

શુભ મૂહુર્તઃ ક્યારે કરવું પુનઃનિર્મિત ઘરમાં પ્રવેશ?

ક્ષતિગ્રસ્ત ઘરને તોડીને જ્યારે તેને ફરીથી નવા સ્વરૂપમાં બનાવવામાં આવે છે તો તેને પુનઃનિર્મિત ઘર કહે છે જ્યારે આ ઘરમાં પ્રવેશ કરવામાં આવે તો તેનો જીર્ણોદ્ધાર ગૃહ પ્રવેશ કહે છે. અર્થાત્ જો કોઈ કારણવશ ઘર તૂટી ગયું હોય, તોડાવીને નવું બનાવ્યું હોય કે જૂના મકાનનો વિસ્તાર કર્યો હોય તેવી સ્થિતમાં. જીર્ણોદ્ધાર ગૃહપ્રવેશ માટે આ વાત ધ્યાન રાખો...

શુભ નક્ષત્રઃ- શતભિષા, પુનર્વસુ, સ્વાતિ, ઘનિષ્ઠા, અનુરાધા, રોહિણા, મૃગશિરા, રેવતી, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાપ્રપદ નક્ષત્ર શુભ છે.

શુભ વારઃ- સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર.

શુભ તિથિઃ- શુક્લપક્ષ દ્વિતિયા, તૃતીય, પંચમી, સપ્તમી, દશમી, એકાદશી, દ્વાદશી તથા ત્રયોદશી.

શુભ માસઃ- કારતક, માગશર, શ્રાવણ, મહા, ફાગણ, વૈશાખ અને જેઠ.

શુભ લગ્નઃ- વૃષભ, સિહં, વૃશ્ચિક અને કુંભ રાશિના લગ્ન ઉત્તમ હોય છે. મિથુન, કન્યા, ધન અને મીન રાશિના લગ્ન મધ્યમ છે. લગ્નેશ બલી, કેન્દ્ર-ત્રિકોણમાં શુભ ગ્રહ અને 3, 6, 10 અને 11માં ભાવમાં પાપ ગ્રહ હોવા જોઈએ.

Saturday, 12 May 2012

શ્રીમંત મહારાજા રણજિતસિંહ ગાયક્વાડ ની જય... મહારાજા અમર રહો...

શ્રીમંત રણજિતસિંહ ગાયક્વાડને "વડોદરા વાસીઓ" અને "આમ્હી બરોડેકર" તરફ થી શ્રદ્ધાંજલી તસવીરો
આંખમાં અશ્રુ અને હાથમાં પુષ્પો સાથે સ્વ.શ્રીમંત રણજિતસિંહ ગાયક્વાડને વડોદરા વાસીએ વિદાય આપી

શુક્રવારે સવારે ૧૧ કલાકે રાજવી પરિવારના સ્મશાનગહ કીર્તિ મંદિર ખાતે સ્વ.મહારાજાના અંતિમ સંસ્કાર થયા રાજમહેલના મુખ્ય દ્વાર ખાતેથી નીકળી નવલખી મેદાન, મહારાણી શાંતાદેવી નર્સિંગ હોમ, કોઠી ચાર રસ્તા, આરાધના ટોકીઝ થઇ કીર્તિ મંદિર પહોંચી....

સ્વ.મહારાજા રણજિતસિંહ ગાયકવાડને શ્રદ્ધાંજલિ

રણજિતસિંહની આખરી વિદાયે આંખો ભીંજવી દીધી

એક એવો પરિવાર જેણે રૈયતની અખૂટ ચાહના મેળવી છે. એ પરિવારના મોભી મહારાજા રણજિતસિંહજીએ ચિરવિદાય લીધી એ સાથે જ લક્ષ્મીવિલાસ પેલેસના સૌથી ઊંચા મિનારાની ટોચથી માંડી જુના વડોદરા રાજ્યના એકે એક પ્રાંત-કસ્બામાં ગમગીનીનાં ઘટાટોપ વાદળો છવાઈ ગયા. પ્રજાપ્રિય પરિવાર ગાયકવાડ કુટુંબ પર આવી પડેલા આ દુ:ખદ પ્રસંગે એમની પડખે ઊભી રહી આખી રૈયત. સ્વ.ના મહાપ્રયાણની ઘડીઓ ર્દશ્યરૂપી શૃંખલામાં અત્રે પ્રસ્તુત છે.

મહારાજા રણજિતસિંહજી જીવશે આપણા હ્રદયમાં - આપણાં મનમાં-આપણી સ્મૃતિમાં- આજીવન. ઇશ્વર એમના આત્માને સદગતી અને મોક્ષ આપે તેવી અભ્યર્થના....અને શ્રદ્ધાંજલી

ઇશ્વર એમના આત્માને ચિરશાંતિ બને તેવી હ્રદયપૂર્વકની પ્રાર્થના અને શ્રદ્ધાંજલી............



 
'આ મારું છેલ્લું કીર્તન છે, મહારાજાની વાત સાચી ઠરી'

સ્વ.મહારાજા રણજિતસિંહ શીયાબાગ બંગલોમાં રહેતા નિવૃત્ત આઇએએસ બી.આર.માને પાટિલને ત્યાં ગણેશોત્સવ દરમિયાન એક દિવસ કીર્તન કરવા આવતા હતા. મહારાજાએ અંતિમ શ્વાસ સુધી ગણેશોત્સવમાં કીર્તન કરવાનું વચન આપ્યું હતું. ગત વર્ષે પણ તેઓએ પરંપરા જાળવી રાખી હતી પરંતુ કીર્તન બાદ ઉભા થવામાં તકલીફ થતાં તેઓ બોલી ઉઠ્યા હતા કદાચ આ મારું છેલ્લું કીર્તન હશે. મહારાજાની આ વાત આજે સાચી પડી હતી. ધમેન્દ્રસિંહ દત્તારાવ ફણસે, માજી જાગીરદાર- આકુંદ, ધનસુરા, સાબરકાંઠા

...તો મહારાજા અભિનય પણ કરત!

શહેરના ડૉ.દામોદર વી. નૈનેએ જણાવ્યું કે, બે વર્ષ અગાઉ બાલગંધર્વ નામની એક ફિલ્મમાં યુવાન સયાજીરાવની ભૂમિકા ભજવવાની હતી. છેવટે ડાયરેકટરે બીજા કોઈ ચહેરા વડે કામ ચલાવી લીધું હતું.નહીંતર બાલગંધર્વ ફિલ્મમાં મહારાજનો અભિનય જોવાની તક મળી હોત. 

 સ્વ.મહારાજાને વિવિધ અગ્રણીઓની ભાવાંજલિ

સમગ્ર ભારતમાં વડોદરાની લોકપ્રિયતા માટે ગાયકવાડ પરિવારનો સિંહફાળો રહ્યો છે. મહારાજા રણજિતસિંહ ધર્મ, સંસ્કૃતિ, સંગીત, ચિત્રકલાને પ્રોત્સાહન આપતા હતા. તેમના વગર હવે આવા કાર્યક્રમો અધૂરા લાગશે. પૂ.વાગીશકુમારજી , વૈષ્ણવાચાર્ય

તેઓ ખૂબ મોભાદાર રાજવી હોવા છતાં નાના-મોટાં વચ્ચે ભેદભાવ રાખ્યા વિના સૌને સમાન ગણતા હતા. વડોદરા અને કલાજગતે એક ઉમદા ઇન્સાનની સાથે કલાકાર ગુમાવ્યો છે. પરિમલ નથવાણી, રિલાયન્સ ગૃપ પ્રેસિડેન્ટ તથા સાંસદ

‘‘ શ્રીમંત રણજીતસિંહ ગાયકવાડ એ ઉમદા હ્રદયનુ વ્યક્તિતત્વ હતુ. સાદા અને સરળ સ્વભાવના સ્વ.રણજીતસિંહ ગાયકવાડને શહેરની પ્રગતિ માટે લાગણી હતી. સ્વ.રણજીતસિંહજી એક કલાકાર હતા અને સાદગીનુ પ્રતિક હતુ. ચિરાયુ અમીન, સીએમડી, એલેમ્બિક કંપની, પ્રેસિડન્ટ બીસીએ

વડોદરાએ કલાકાર રાજા ગુમાવ્યો છે. કલાક્ષેત્રે દેશમાં તેમની ખોટ હંમેશા વર્તાશે. સજજન, સરળ વ્યક્તિત્વ ધરાવતા સ્વ.રણજિતસિંહ મુઠી ઉંચેરા માનવી હતા. પૂર્વ સાંસદ સત્યજિતસિંહ ગાયકવાડે મલેશિયાથી

સંસ્કારી નગરીએ બહુમખી પ્રતિભા ધરાવતા રાજવીની સાથે શિલ્પકાર, ચિત્રકાર, સંગીતકાર, ક્રિકેટર, સફળ રાજકારણી અને પ્રજા વત્સલ નેતા ગુમાવ્યો છે. ચિન્નમ ગાંધી, વપિક્ષી નેતા

રાજવી હોવા છતાં તેઓ સાદગીને વરેલી વ્યક્તિ તરીકે પ્રજામાં હંમેશા યાદ રહેશે. તેમની ચિરવિદાયથી વડોદરાને બહુમખી પ્રતિભા ધરાવતા રાજવીને ગુમાવ્યાનું દુ:ખ રહેશે. શૈલેષ મહેતા(સોટ્ટા), પૂર્વ ડેપ્યુટી મેયર-કોર્પોરેટર

વડોદરાએ વિનમ્ર સ્વભાવના રાજવી ગુમાવ્યા છે. તેઓ હંમેશા શહેરના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સતત ચિંતિત રહેતા હતા. તેમના અવસાનથી શહેરે મહાન રાજવી અને મોભી ગુમાવ્યા છે. ચિરાગ ઝવેરી, કોર્પોરેટર

મહારાજાના નિધનથી શહેરને કદી ન પૂરાય તેવી ખોટ પડી છે. તેઓ શાંતિના ચાહક, કોમી એકતાના હિમાયતી હતા.તેમનો પ્રજાપ્રેમ કાયમી સંભારણું બની રહેશે. ગનીભાઇ કુરેશી, ભાજપ લઘુમતિ મોરચાના પૂર્વ પ્રમુખ

તેઓ કલાપ્રેમી અને સાહિત્યમર્મી હતા. સ્વ.મહારાજા રણજિતસિંહ ગાયકવાડે પ્રેમાનંદ સાહિત્ય સભાના અનેક કાર્યક્રમોમાં હાજર રહી સાહિત્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રાજવી તરીકેની ફરજ અદા કરી હતી. ચંદ્રકાંત રાવ ,પ્રેમાનંદ સાહિત્ય સભા

મહારાજા ૧૫ વર્ષ સુધી વાંચનાલયના પ્રમુખ રહ્યા હતા. સયાજીરાવ દ્વારા સ્થપાયેલ આ વાંચનાલય પ્રત્યે રણજિતસિંહ મહારાજાને અનોખી લાગણી અને પ્રેમ હતો. પ્રસાદ વિપ્રદાસ, શ્રી જયસિંહરાવ પબ્લિક લાયબ્રેરીના મંત્રી

અમારી કૃષ્ણ-સુદામાની જોડી તૂટીગઇ

મહારાજા સાથેના કેટલાય પ્રસંગો છે જે હું કદાપિ ભૂલી શકું નહિ ૧૯પ૪ થી પ૮ દરમિયાન ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અમે બંનેએ સાથે અભ્યાસ કર્યો છે. તેમના જેવો દિલેર મિત્ર ક્યાંય ન મળે અમારી કૃષ્ણ-સુદામાની જોડી તૂટી ગઇ . ગોવિંદરાવ નિમ્બાલકર, મહારાજાના મિત્ર

મારો પ્રસંગ ને મારી જ ગેરહાજરી!, મહારાજાની અલભ્ય તસવીરો
રજવાડી ઠાઠમાં બાળ રણજિતસિંહ
માતા તથા અન્ય તમામ ભાઈ-બહેનો સાથે બાળ રણજિતસિંહ
માતા-પિતા મહારાજા પ્રતાપસિંહ રાવ તથા મહારાણી શાંતાદેવી સાથે રાજકુંવર રણજિતસિંહજી અને અસૌ શુભાંગિની રાજે ગાયકવાડ
વિખ્યાત ગઝલ ગાયક મહેંદી હસન સાથે કલાકાર રણજિતસિંહજી
જીવલેણ રાજરોગ થયાની જાણ થયા બાદ લેવાયેલી રણજિતસિંહજીની પ્રથમ તસવીર
શ્રીમંત મહારાજા રણજિતસિંહજી ગાયકવાડ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે મારા અંતિમ દર્શન



























"મહારાજા રણજિતસિંહજી જીવશે આપણા હ્રદયમાં - આપણાં મનમાં-આપણી સ્મૃતિમાં- આજીવન. ઇશ્વર એમના આત્માને સદગતી અને મોક્ષ આપે તેવી અભ્યર્થના....અને શ્રદ્ધાંજલી "

હિબકે ચઢ્યું વડોદરા, 'મહારાજા'ને અંજલિ અર્પવા જામી લોકોની કતારો
વડોદરાના પુર્વ સાંસદ અને પૂર્વ રાજવી શ્રીમંત મહારાજા રણજીતસિંહ ગાયકવાડનું બુધવારે મોડી રાતે કીડનીની બિમારીના કારણોસર અવસાન થયું હતું. તેમના અવસાનથી પૂર્વ રાજવી પરિવાર, શહેરના અગ્રણી નાગરિકો તથા રાજકીય પક્ષોમાં ભારે શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

આજે સવારે ૧૦ વાગ્યાથી તેમના પાર્થિવ દેહને લોક દર્શનાર્થે લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં મૂકવામાં આવતાં વડોદરા શહેર-જિલ્લામાંથી હજારો લોકો સ્વ. પૂર્વ મહારાજાના નશ્વરદેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા હતા.

પૂર્વ મહારાજા રણજિતસિંહના નિધનના પગલે રાજમહેલના પ્રવેશ દ્વાર પર ફરકાવાતો કેસરી ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો હતો.




સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતી ટાણે રણજિતસિંહની વિદાય વસમી લાગે તેવી બાબત છે તેમ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.   સમગ્ર દેશમાં રાજા રજવાડાંઓના ઈતિહાસમાં ગાયકવાડ પરિવારનું નામ સુધારાવાદી, પ્રજાવત્સલ રાજવી તરીકે રહ્યું છે અને પરિવારના સૌએ હંમેશાં એ સંસ્કાર વારસાને જાળવ્યો છે.  રણજિતસિંહજી ગાયકવાડની સાથે જેમનો જેમનો નિકટ પરિચય આવ્યો છે અને સાદગી તેમની પ્રકૃતિમાં હતી. ૬૦-૬૫ વર્ષની ઉંમરે પણ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં વિદ્યાર્થીની જેમ શીખવું એ  કલા પ્રેમ જ હતો. હું આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છે, તેમના પરિવારજનોને આઘાત સહન કરવાની ઇશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.








મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા જઇ રણજિતસિંહને અર્પી પુષ્પાંજલિ


મહારાજાને અંજલિ આપવા આવેલા વિધાનસભાના વિપક્ષનેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રણજિતસિંહજીના અવસાનથી મૂઠી ઊંચેરા માનવી આપણા સૌની વચ્ચેથી ગયા છે. કોંગ્રેસ પક્ષના સંસદ સભ્ય તરીકે તેમણે વડોદરાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગાંધી- નહેરુ પરિવાર સાથેના તેમના આત્મીય સંબંધોના અનેક દાખલાઓ  છે. સ્વ. રાજિવ ગાંધી સાથે પણ તેમણે કામ કર્યું છે. મને પણ તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. લોકશાહી વ્યવસ્થાની સ્થાપના પછી એક સામાન્ય ભારતીય નાગરિક તરીકે એક રાજાએ કેમ જીવવું જોઇએ તેનો આદર્શ પુરાવો જો કોઇએ જોવો હોય તો તે રણજિતસિંહ ગાયકવાડ છે. સોનિયાજી, અહેમદજી અને મારા પક્ષ વતી હું શ્રદ્ધાંજલિ અર્પવા આવ્યો છે.















લક્ષ્મી વિલાસ પેલેસમાંથી સવારે ૧૦.૧૫ કલાકે સ્વ.મહારાજાની અંતિમ યાત્રાની શરૂઆત થઇ હતી.


























 સ્વ.મહારાજા રણજિતસિંહ ગાયકવાડના નશ્વર દેહ સાથેની પાલખી પેલેસના આંગણેથી ઉઠતાં જ રાજવી પરિવારની મહિલાઓ ચોધાર આંસુએ રડી પડી હતી. મહારાણી શુભાંગિનીદેવી, યુવરાણી રાધિકારાજે, મહારાજાની પુત્રીઓ અને બહેનોએ અશ્રુભીની આંખે પરિવારના મોભીને વિદાય આપી હતી.












































રાજવી પરિવારના સિકયુરિટી ગાર્ડના જવાનોએ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરી સ્વ.મહારાજાને સલામી આપી હતી.


લક્ષ્મીવિલાસ પેલેસથી કીર્તિ મંદિર સુધીના માર્ગ ઉપર નીકળેલી સ્વ.મહારાજા અંતિમયાત્રા દરમિયાન માર્ગમાં ઠેરઠેર વિવિધ સમુદાયો દ્વારા મહારાજાને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. 











અંતિમ યાત્રા પેલેસમાંથી બહાર નીકળી મુખ્ય માર્ગ ઉપર આગળ વધી નવલખી મેદાન નજીક આવતાં મધ્ય ગુજરાત વીજ કંપનીના સિકયુરિટી જવાનોએ મહારાજાને સલામી આપી હતી. 
બદામડી બાગ ખાતે સમસ્ત કહાર સમાજના ઉપક્રમે અંતિમયાત્રાને થોભાવી સ્વ.મહારાજાને પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઇ હતી. 




જ્યારે શાંતાદેવી નર્સિંગ હોમ ખાતે બઝમે રિફાઇ જાનીબ સે(ખાનકાહે રિફાઇયા) તરફથી અને વડોદરા સેવાસદન તરફથી મહારાજાને અંજલિ આપવામાં આવી હતી.





























સ્વ.મહારાજા રણજિતસિંહની અંતિમ સંસ્કાર વિધિમાં લઘુબંધુ સંગ્રામસિંહ તમામ મતભેદ ભૂલીને પરિવાર સહિત આવી પહોંચતાં અટકળોનો અંત આવ્યો હતો. સંગ્રામસિંહ ૯.૪૫ કલાકે લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે આવી પહોંચ્યા બાદ  મહારાજાની અંતિમ યાત્રા તેમજ કીર્તિ મંદિર ખાતે અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહ્યા હતા.
 ગાયકવાડ પરિવારમાં ચાલતા મતભેદને કારણે રણજિતસિંહ અને સંગ્રામસિંહ વચ્ચેના અબોલાથી સૌ વાકેફ છે. આજે સ્વ.રણજિતસિંહના અંતિમ સંસ્કારમાં સંગ્રામસિંહ પરિવાર સહિત આવી પહોંચ્યા હતા. આ વિધિમાં સંગ્રામસિંહના પુત્ર પ્રતાપસિંહને સામેલ કરી તેમના હસ્તે અગ્નિદાહ અપાયો હતો. આજની આ ઘટના બંને પરિવારોને નિકટ લાવવામાં મહત્વની કડી બનશે તેમ ચર્ચાઇ રહ્યું છે.










 





















 
સ્વ.રણજિતસિંહનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

લક્ષ્મી વિલાસ પેલેસથી કીર્તિ મંદિર સુધીના અંતિમ યાત્રાના માર્ગ ઉપર હજારો લોકોએ પુષ્પવૃષ્ટિ કરી અશ્રુભીની આંખે વિદાય આપી

કીર્તિ મંદિર ખાતે વેદોકત મંત્રોચ્ચાર સાથે અંતિમ સંસ્કાર યોજાયા

કિડનીની બીમારી સામે ઝઝૂમી બુધવારની મોડીરાતે આ ફાની દુનિયાને છોડી જનારા વડોદરાના રાજવી સ્વ.મહારાજા રણજિતસિંહ ગાયકવાડનો પાર્થિવ દેહ આજે બપોરે કીર્તિ મંદિર સ્થિત રાજવી પરિવારના સ્મશાનગૃહ ખાતે હજારો લોકોની ઉપસ્થિતિમાં પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો હતો. કીર્તિ મંદિર ખાતે ઋગ્વેદ પદ્ધતિ મુજબ વેદોકત મંત્રોચ્ચાર સાથે યોજાયેલી અંતિમ વિધિ બાદ બપોરે૧૨.૩૯ કલાકે યુવરાજ સમરજિતસિંહે પિતાજીના નશ્વરદેહનો અગ્નિ સંસ્કાર કરતાં હજારો લોકોએ મહારાજા અમર રહોનો જયઘોષ કરી વાતાવરણ ગજવી દીધું હતું.

લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં સવારે ૭ થી ૯ સુધી નાગરિકો અને આગેવાનો તરફથી સ્વ.મહારાજાને શ્રદ્ધા સુમન અર્પણ કરાયાં હતાં. બાદમાં ગાયકવાડી રીતરિવાજ મુજબ અંતિમ વિધિ કરી સ્વ.મહારાજાના નશ્વર દેહને પુષ્પોથી સજાવેલી પાલખીમાં સુવડાવાયો હતો. આ પાલખી શણગારેલા ખુલ્લા ટેમ્પામાં મૂકીને ૧૦.૧૫ કલાકે ગાયકવાડી બેન્ડ અને પશ્ચિમ રેલવે પોલીસ બેન્ડ દ્વારા રેલાવાતી ભક્તિ સંગીતની ધૂન સાથે અંતિમ યાત્રાનો પ્રારંભ થતાં પેલેસ કંપાઉન્ડ મહારાજા રણજિતસિંહની જય... મહારાજા અમર રહો...ના જયઘોષથી ગૂંજી ઉઠ્યું હતું.

સ્વ.મહારાજાની અંતિમ યાત્રા લક્ષ્મી વિલાસ પેલેસના મુખ્ય દ્વારથી મુખ્ય રસ્તા પર આવતાં બહાર પ્રતીક્ષા કરી રહેલા હજારો લોકોએ સ્વ.મહારાજાની પાલખીના દર્શન કરી અંજલિ આપી હતી. જેમજેમ અંતિમ યાત્રા તેના નિધૉરિત માર્ગે આગળ વધતી જતી હતી તેમતેમ માર્ગની બંને બાજુએ ઉભેલા હજારો લોકોએ સ્વ.મહારાજાની પાલખી ઉપર પુષ્પવૃષ્ટિ કરી અશ્રુભીની આંખે વિદાય આપી હતી.

અંતિમ યાત્રાના માર્ગ ઉપર સેવાસદન દ્વારા પાંચ સ્થળોએ બનાવાયેલા સ્ટેજ પરથી સ્થાનિક વિસ્તારના આગેવાનો અને નાગરિકોએ સ્વ.મહારાજાને અંજલિ અપીg હતી. અંતિમ યાત્રા લક્ષ્મી વિલાસ પેલેસથી કલાભવન, નવલખી, શાંતાદેવી નર્સિંગ હોમ, કોઠી ચાર રસ્તા, સયાજી હોસ્પિટલ, આરાધના ટોકઝિ થઇ ૧૧.૩૦ કલાકે કીર્તિ મંદિર ખાતેના સ્મશાનગૃહમાં પહોંચી હતી. જ્યાં હજારો લોકોની ઉપસ્થિતિમાં અંતિમ ક્રિયા યોજાઇ હતી.

રાજવી પરિવારના રાજગુરુ પૂ.ધ્રુવદત્ત વ્યાસ દ્વારા યુવરાજ સમરજિતસિંહ પાસે એક કલાક સુધી ઋગ્વેદ પદ્ધતિ મુજબ સ્વ.મહારાજાની અંતિમ સંસ્કાર વિધિ કરાવાયા બાદ બરાબર ૧૨.૩૯ કલાકે યુવરાજે ચંદન કાષ્ઠ ઉપર મૂકાયેલા સ્વ.મહારાજાના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર કરતાં ઉપસ્થિત હજારો લોકોએ મહારાજાનો જયજયકાર કરી વાતાવરણ ગજવી દીધું હતું. યુવરાજ દ્વારા અગ્નિ સંસ્કાર કરાયા બાદ તરત જ સ્વ.મહારાજાના લઘુબંધુ સંગ્રામસિંહના પુત્ર પ્રતાપસિંહ પાસે પણ રાજગુરુએ અગ્નિ સંસ્કાર વિધિ કરાવી હતી. આ વિધિ સંપન્ન થતાં સ્વ.મહારાજાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. અંતિમ સંસ્કાર પૂર્વે સંગ્રામસિંહ ગાયકવાડ સહિત જુદાજુદા શહેરો-નગરોમાંથી આવેલા રાજવીઓએ સ્વ.મહારાજાનાં અંતિમ દર્શન કરી શ્રદ્ધા-સુમન અર્પણ કર્યા હતાં.

૧૦.૧૫ - કલાકે રાજમહેલમાંથી અંતિમ યાત્રા શરૂ

૧૧.૩૦ - કલાકે કીર્તિ મંદિરે અંતિમ યાત્રા પહોંચી

૧૨.૩૯ - કલાકે મહારાજાને અગ્નિ દાહ અપાયો

૫૦,૦૦૦- થી વધુ લોકોએ અંતિમ દર્શન કર્યા

૨.૫- કિ.મીના અંતિમયાત્રાના માર્ગ પર ગમગીન નગરજનો હાજર

૨૦- થી વધુ રજવાડાંના પ્રિન્સ, રાજવી, ભાયાત અને જાગીરદારો ઉપસ્થિત
 
 
શ્રીમંત મહારાજા રણજિતસિંહ ગાયક્વાડ ની જય... મહારાજા અમર રહો...


શ્રીમંત મહારાજા રણજિતસિંહ ગાયક્વાડ ની જય... મહારાજા અમર રહો...